8 June 2015

દીકરી


કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વહાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઇએ
-ગૌરાંગ ઠાકર


લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો
-કવિ દાદ




"દીકરી સ્નેહસંબંધનો મોભારો છે. મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા, પારિજાતની દિવ્યતા કોઇ ઝાકળબિંદુમાં એકઠી થાય ત્યારે એને દીકરી નામ અપાય છે."
- ગુણવંત શાહ






ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ:ખોથી ઘેરાયેલી
મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.
તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો.
ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે.
દીકરી તો મા-બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી.
ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે. દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે.
દીકરી જગતના કોઈપણ ખૂણે જશે, માતા-પિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી.
દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે.
દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ આપણાં તત્ત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે... કલેજાનો ટુકડો કહ્યો છે. અને, એટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખોમાં આંસુ વહે છે.
નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે.